Navratri 2023
જાણો નવ દિવસ નું મહત્વ અને માતાજી ના સ્વરૂપ નો ઈતિહાસ
प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।,
तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ।।
पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।,
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।
नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।,
उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ।।
નવરાત્રી, જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો, માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે. દરવર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે. જેમ કહેવાય છે કે “જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત” તેમ જ આમ પણ કહી શકાય કે “જ્યાં જ્યાં હોય ગુજરાતી, ત્યાં હોય ગરબા”. તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે.
પરંતુ આ નવરાત્રી શબ્દ ક્યાંથી આવ્યો? નવરાત્રી તહેવારની શરૂઆત ક્યાંથી થઇ? શું કારણ અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રીની નવ રાત પાછળ જોડાયેલી છે. નવરાત્રીમાં ગરબા સિવાય પણ શું શું એવું છે જે નવરાત્રીના જ તહેવારનો એક ભાગ છે, આવો તેના વિષે જાણીયે
નવરાત્રીનો ઇતિહાસ:
નવરાત્રીનો ઇતિહાસ આમતો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે, જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું મુખ ભેંસ જેવું હતું અને સ્વભાવથી ખુબ ક્રૂર હતો. આ મહિષાસુરે ઘણા વર્ષ ખુબ તપશ્ચર્યા કરી અને ભગવાન શિવ તેની આ તપશ્ચર્યાથી તેના પર ખુશ થયા. અને મહિષાસુરને અમરત્વનું વરદાન આપ્યું પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે “કોઈપણ પુરુષથી તું નહી મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે. જે સાંભળીને મહિષાસુર ખુશ થયો અને પોતાની જાતને ખુબ શકતિશાળી માનવા લાગ્યો. સમયની સાથે તે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન, પરેશાન કરવા લાગ્યો.
મહિષાસુરના ત્રાસથી બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શંકર મળ્યા અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિનું સર્જન કરીયે જે મહિષાસુરનો વધ કરે અને નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો અપાવે. જેથી તેઓએ માં દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આપ્યા. ત્યારબાદ માં દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર આપ્યો જેને સ્વીકારીને મહિષાસુરે માં દુર્ગાએ યુદ્ધ કર્યું અને 9 દિવસ ચાલેલા આ યુદ્ધ દરમ્યાન મહિષાસુરે અને અવનવા રૂપ ધર્યા, છતાં પણ માં દુર્ગાએ તેને હરાવ્યો અને નવમાં દિવસે તેનો વધ કર્યો. જેથી નવરાત્રી અસત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ પર દૈવી શક્તિના વિજયના રૂપે મનાવવામાં આવે છે.
બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રીરામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રીરામે માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા-અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવે દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરી અને દશમાં દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો. માટે નવરાત્રી આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રીનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખુબ મહત્વ રહેલું છે. જેમાં નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે.
નવરાત્રી ક્યારે ઉજવવામાં આવશે:
દર વર્ષે નવરાત્રી અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે, હિન્દૂ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રી 14 ઓક્ટોબર મધ્યરાત્રીથી શરૂ થશે, જેથી નવરાત્રીની ઉજવણી 15 ઓક્ટોબરથી શરૂ થઈને 23 ઓક્ટોબરે પૂર્ણ થશે અને 24 ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે.
નવરાત્રીના નવ દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે:
પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા – નવરાત્રીના પ્રથમ દિવસે (ઓક્ટોબર 15, 2023, રવિવાર) માં શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે, શૈલપુત્રી એ માં પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
માં શૈલપુત્રી નો મંત્ર,
ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:
બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા – માં બ્રહ્મચારિણી માં દુર્ગાનું જ એક સ્વરૂપ છે જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવમાં આવે છે. બીજા દિવસે (ઓક્ટોબર 16, 2023, સોમવાર) માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે.
માં બ્રહ્મચારિણી નો મંત્ર:,
ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:
ત્રીજા દિવસે માં ચંદ્રઘટાની પૂજા – માં ચંદ્રઘટા પણ માં દુર્ગાનું એક સ્વરૂપ છે જેના મસ્તક પર અર્ધચંદ્ર શોભાયમાન હોય છે. ત્રીજા દિવસે (ઓક્ટોબર 17, 2023, મંગળવાર) માં ચંદ્રઘટાની ઉપાસના કરવામાં આવે છે.
માં ચંદ્રઘંટા નો મંત્ર:,
ॐ ऐं ह्रीं क्लीं चन्द्रघंटायै नम:
ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા – માં કુષ્માંડા ના નામનો અર્થ “કુ”, “ઉષ્મા” અને “અંડા” શબ્દોને સાથે માંડીને થાય છે જેમાં “કુ” એટલે થોડું, “ઉષ્મા” એટલે શક્તિ અને “અંડા” એટલે ઈંડુ આવો અર્થ થાય છે. માં કુષ્માંડા સર્જનની દેવી તરીકે પૂજવામાં આવે છે, નવરાત્રીના ચોથા દિવસે (ઓક્ટોબર 18, 2023, બુધવાર) તેની ઉપાસના કરવામાં આવે છે.
માં કુષ્માંડા નો મંત્ર:,
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै नम:
પાંચમા દિવસે માં સ્કંદમાતાની પૂજા – માં સ્કંદમાતા કાર્તિકેયના માતા છે, જેના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજનમાં હોય છે અને તેઓ જ્ઞાન અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજાય છે. નવરાત્રીના પાંચમા દીવસે (ઓક્ટોબર 19, 2023, ગુરુવાર) માં સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે.
માં સ્કંદમાતા નો મંત્ર:,
ॐ ऐं ह्रीं क्लीं स्कंदमातायै नम:
છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા – માં દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે માં કાત્યાયની કે જેમના એક હાથમાં તલવાર અને એક હાથમાં કમળ હોય છે, જેમની ઉપાસના નવરાત્રીના છઠ્ઠા દિવસે (ઓક્ટોબર 20, 2023, શુક્રવાર) કરવામાં આવે છે.
માં કાત્યાયની માતા નો મંત્ર:,
ॐ क्रीं कात्यायनी क्रीं नम:
સાતમા દિવસે માં કાલરાત્રિની પૂજા – માં કાલરાત્રિ એટલે માં દુર્ગાનું સૌથી રુદ્ર સ્વરૂપ, જે આસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે નવરાત્રીના સાતમા દિવસે (ઓક્ટોબર 21, 2023, શનિવાર) તેમની ઉપાસના કરવામાં આવે છે.
માં કાલરાત્રિ નો મંત્ર:,
ॐ ऐं ह्रीं क्लीं कालरात्र्यै नम:
આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા – મહાગૌરી માતા પણ માં દુર્ગાનું સ્વરૂપ છે, જેના એક હાથમાં ડમરુ અને એક હાથમાં ત્રિશુલ ધારણ કરેલું હોય છે. માં મહાગૌરી દયા અને કરુણાની દેવી તરીકે પૂજાય છે, જેની ઉપાસના નવરાત્રીના આઠમા દિવસે (ઓક્ટોબર 22, 2023, રવિવાર) કરવામાં આવે છે.
માં મહાગૌરી નો મંત્ર:,
ॐ ऐं ह्रीं क्लीं महागौर्ये नम:
નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા – માં સિધ્ધિદાત્રી તેમના ઉપાસકની ઈચ્છાપૂર્તિ અને મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમનું નામ સિધ્ધિદાત્રી છે, જે માં દુર્ગાનું નવમું સ્વરૂપ છે અને તેની ઉપાસના નવરાત્રીના નવમાં દિવસે (ઓક્ટોબર 23, 2023, સોમવાર) કરવામાં આવે છે.
માં સિદ્ધિદાત્રી નો મંત્ર:,
ॐ ऐं ह्रीं क्लीं सिद्धिदात्र्यै नम:
ભારતમાં નવરાત્રીની ઉજવણી:
ભારતભરમાં લગભગ દરેક રાજ્ય અને દરેક ભાગમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના અલગ અલગ દેશોમાં પણ નવરાત્રીની ઉજવણી ખુબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે અને લોકો તેમાં ઉત્સાહભેર ભાગ પણ લે છે. જે ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ વાત છે. ગુજરાતનો રાજ્ય તહેવાર પણ નવરાત્રી જ છે. ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદ ખાતે વાયબ્રન્ટ નવરાત્રીનો એક આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં પણ નવરાત્રી અલગ અલગ રીતે મનાવવામાં આવે છે.
જેમ કે મહારાષ્ટ્રમાં “ઘટસ્થાપન” કરવામાં આવે છે જેમાં એક ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને મહિલાઓ દ્વારા તેમની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે. જેમાં માં મહાલક્ષ્મી, માં સરસ્વતી અને માં કાલીનું પૂજન અને ભકિત કરવામાં આવે છે. તો દક્ષિણ ભારતમાં નવરાત્રીનો તહેવાર “ગોલુ” તરીકે ઉજવવામાં આવે છે, જેમાં દક્ષિણ ભારતના લોકો પગથિયાં જેવું નાનું નિર્માંણ કરે છે અને તેના પર નાની નાની ભગવાન અને માતાજીની મૂર્તિઓ સ્થાપે છે. અને તેની પૂજા અને ઉપાસના કરે છે. ત્યારબાદ નવમાં દીવસે હવન કરવામાં આવે છે અને ખુબ ભાવપૂર્વક આ ઉત્સવની પુર્ણાહુતી કરવામાં આવે છે.
તો તેવી જ રીતે પૂર્વ ભારતમાં નવરાત્રિને દુર્ગાપૂજા તરીકે ઉજવવામાં આવે છે, પશ્ચિમ બંગાળનો એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે. જેમાં તેઓ માં દુર્ગાની વિશાળ પ્રતિમાની સ્થાપના કરે છે અને તેના નવ સ્વરૂપની પૂજા અને ભક્તિ કરે છે. જેમાં નવરાત્રીના સાતમા દિવસે તેઓ માં દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરે છે. અને દશેરા સુધી તેની ઉજવણી કરે છે.
અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે ઉજવવામાં આવતી નવરાત્રીમાં નવ દિવસ સુધી પૂજાની થાળી, ફળ-ફૂલ , પ્રસાદ અને આરતી જેવી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે. અને દસમાં દિવસે નવ કન્યાઓને આમંત્રિત કરીને તેની પૂજાવિધિ કરીને તેને ભાવપૂર્ણ રીતે જમાડવામાં આવે છે. જે એક અતિ મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે.
નવરાત્રીમાં રંગનું મહત્વ:
સૌથી મહત્વની બાબત એ છે કે નવરાત્રીના નવ દિવસ, નવ અલગ અલગ રંગ માટે સમર્પિત છે અને મહિલાઓ અને ગરબા રમતા ભાવિકો તે દિવસ મુજબના કપડાં ધારણ કરતા હોય છે જેમાં આ વર્ષે પ્રથમ દિવસે કેસરી, તો બીજા દિવસે સફેદ, અને ત્રીજા દિવસે લાલ , તથા ચોથા દીવસે ઘેરો નીલો રંગ તો પાંચમા દિવસે પીળો, અને છઠ્ઠા દિવસે લીલો, તથા સાતમા દિવસે ગ્રે રંગ, તો આઠમા દિવસે જાંબલી, અને નવમાં દિવસે મોરપીંછ રંગના કપડાં ધારણ કરવા શુભ રહેશે.
અમે આશા રાખીયે છીએ કે વિશ્વના સૌથી મોટા નૃત્ય તહેવાર એવી નવરાત્રી વિષે આટલી માહિતી આપણે અત્યંત ઉપયોગી બની રહેશે અને આપના જ્ઞાનમાં પણ વધારો કરશે. સૌને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.
બોલ મારી અંબે..જય જય અંબે!
Let's Enjoy the FAQ Session!
હિન્દુ પૌરાણિક કથાઓમાં 9 દેવી અથવા નવદુર્ગા, દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું ઐતિહાસિક મહત્વ વૈશ્વિક ક્રમના રક્ષણ અને જાળવણીમાં તેમની ભૂમિકામાં રહેલું છે, જે નવરાત્રિ દરમિયાન અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે, જે એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે.a
તમે Brands.live પરથી નવરાત્રિના દરેક દિવસ માટે માતાજીના નામ અને દિવસો સાથેની તસવીરો એક્સેસ કરી શકો છો. તહેવાર દરમિયાન તમારા વ્યવસાય અને સોશિયલ મીડિયાની પોસ્ટને વધારવા માટે આ તસવીરો એક ઉત્તમ સ્ત્રોત છે.